વાવ-થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આગામી ત્રણ દિવસ માટે પાણીનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થરાદથી નીકળતી મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.

ગામડાના તળાવો ભરવાની કામગીરીના કારણે લેવાયો નિર્ણય

નર્મદા વિભાગના જણાવ્યા અનુસાર, વાવ-થરાદ વિસ્તારના ગામડાઓના તળાવો સુધી પાણી પહોંચાડવાની અગત્યની કામગીરી તેમજ અન્ય જરૂરી મરામત અને નિભાવણીના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી સુચારુ રૂપે પૂર્ણ થઈ શકે તે માટે કેનાલમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવામાં આવ્યો છે. જોકે, હાલની સ્થિતિએ વિસ્તારના કોઈપણ ગામમાં પીવાના કે વપરાશના પાણીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ નથી.

3 દિવસ બાદ રાબેતા મુજબ પાણી છોડવા અધિકારીની સ્પષ્ટતા

આ અંગે નર્મદા વિભાગના મુખ્ય અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ખેડૂતો કે ગ્રામજનોએ ગભરાવાની જરૂર નથી. કેનાલ સંબંધિત તમામ જરૂરી કામગીરી આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય કેનાલમાં પુનઃ રાબેતા મુજબ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચો : Weather Update : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર!