મોરબીમાં પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી મક્કમતાપૂર્વક લડી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો સોમવારની રાત્રે અંત આવવા જઈ રહ્યો છે. મેદાને પડેલા તમામ 8 ઉપવાસી ખેડૂતો સોમવારે રાત્રે પારણાં કરશે. ઉપવાસી આંદોલનકર્તાઓ પોતાના 19 દિવસ લાંબા આંદોલનને વિરામ આપશે. જોકે, આ આંદોલનનો અંત એ સરકાર સામેની લડાઈનો અંત નથી, પરંતુ ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે આંદોલનના 'પાર્ટ-3' ની સત્તાવાર જાહેરાત કરવાની ચીમકી આપી દીધી છે.
સરકારની અધૂરી જાહેરાત સામે ખેડૂતોમાં ભારે રોષ
મળતી માહિતી અનુસાર, ખેડૂત આંદોલનને સમેટવા માટે સરકાર દ્વારા તાજેતરમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતો અધૂરી હોવાનું કહીને ઉપવાસી ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની આ જાહેરાતોથી ખેડૂતો બિલકુલ નાખુશ છે, કારણ કે તેમની મૂળ અને મુખ્ય માંગણીઓ હજુ પણ સ્વીકારવામાં આવી નથી. આથી જ આંદોલનની પૂર્ણાહુતિની સાથે જ આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે.

