મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુના દેવળીયા ગામે ખેતરોમાંથી પસાર થતી વીજલાઇન અને વીજપોલના વળતર મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ગામમાં ખેડૂતો દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીનમાંથી પસાર થતી વીજલાઈન સામે યોગ્ય અને વ્યાજબી વળતર ન મળતું હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહાસભામાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હાજર રહ્યા હતા.
કાંતિલાલ અમૃતિયાના 70 લાખના નિવેદનથી અસંતુષ્ટ ખેડૂતોની કાયદા મુજબ વળતરની માગ
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આપવામાં આવેલા રૂપિયા 70 લાખના વળતર અંગેના નિવેદન બાદ ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, તેઓ આ આપેલા વળતરથી બિલકુલ સંતુષ્ટ નથી. ખેડૂતોએ માગ કરી છે કે, તેઓને માત્ર સરકારી પરિપત્ર મુજબ નહીં, પરંતુ કાયદાકીય જોગવાઈઓ મુજબ 4 ગણું વળતર આપવામાં આવે, જેથી તેમની કિંમતી જમીનનું યોગ્ય મૂલ્ય મળી રહે.

2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા
ખેડૂતોનો વિરોધ એટલી હદે ઉગ્ર બન્યો છે કે, ગામમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જુના દેવળીયા ગામે સ્થાનિક ખેડૂતોએ વર્ષ 2027 ની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપના ઉમેદવાર માટે 'પ્રવેશ બંધી'ના બેનરો મારી દીધા છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ રાજકીય નેતાને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

લાપસીના આંધણ મૂકી ખેડૂતોએ આંદોલનને આપ્યું સમર્થન
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ પોતાની પરંપરાગત રીતરસમ મુજબ લાપસીના આંધણ મૂકીને આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. સભામાં ઉપસ્થિત તમામ ખેડૂતોએ એકજૂથ થઈને પોતાના હક્ક અને અધિકાર માટે લડત લડવાની હાકલ કરી હતી. ખેડૂતોના આ આક્રમક વલણને કારણે સમગ્ર મોરબી જિલ્લાના રાજકારણમાં અને તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો - Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ