મોરબી ખાતે આયોજિત સેફ્ટી સેમિનાર કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ વીજપોલના વળતર મુદ્દે કરેલા એક નિવેદનને કારણે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને થાંભલાઓ અંગે વાત કરતાં મંત્રીએ દાવો કર્યો હતો કે,થાંભલાના 70 લાખ રૂપિયા આપવામાં આવે છે જે રકમ બિલકુલ ઓછી નથી. થાંભલા અને તાર નાખવાથી સરકાર કાંઈ ખેડૂતોની જમીન સાથે લઈ જવાની નથી.આ મુદ્દે દોડધામમાં પોતાનું બે કિલો વજન ઘટી ગયું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં
વળતરની ચોક્કસ રકમ અંગે મંત્રી પોતે જ અસહજ જણાતા હતા અને તેમણે સ્થળ પર ઉપસ્થિત કલેક્ટરને 70 લાખ કે 80 લાખની રકમ અંગે પૂછવું પડ્યું હતું.જેનાથી તેમને વળતર બાબતે પૂરતી માહિતી ન હોવાનું સામે આવ્યું હતું.મંત્રીના આ નિવેદન સામે તેમના જ ભાઈ રાકેશ અમૃતિયાએ તીખી પ્રતિક્રિયા આપતાં વાતાવરણ વધુ ગરમાયું છે.રાકેશ અમૃતિયાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમારે 70 કે 80 લાખ રૂપિયા જોઈતા નથી અને અમારી જમીનમાં થાંભલા પણ નથી જોઈતા. ખોટું બોલવાનું બંધ કરો અત્યાર સુધી ક્યાં ગયા હતા? જો સરકાર 4 કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતોને નુકસાન જ છે અને આવું નજીવું વળતર તેમને બિલકુલ મંજૂર નથી.તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે તેઓ પોતાના ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં.
