મોરબી જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સીધી અસર હવે શાસક પક્ષ ભાજપના આંતરિક સંગઠન પર જોવા મળી રહી છે. ખેડૂતોની પડતર માંગણીઓ અને આંદોલનના સમર્થનમાં ભાજપના હોદ્દેદારોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે, જેના લીધે મોરબી ભાજપના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.


સરકાર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા ઉપપ્રમુખ ભાવિક કાવરે પદ છોડ્યું

માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે. ભાવિક કાવરે રાજીનામું આપતાં ખુલ્લેઆમ જણાવ્યું છે કે, લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સરકાર ઝડપથી કોઈ સકારાત્મક ઉકેલ લાવશે તેવી આશા હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેથી ખેડૂતોના હિતમાં હું મારા પદ પરથી રાજીનામું આપું છું.


આગામી દિવસોમાં સંગઠનમાંથી વધુ રાજીનામા પડવાની શક્યતા

માળિયા તાલુકા ભાજપના સત્તાવાર પદ પરથી ભાવિક કાવરના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના જ હોદ્દેદારો હવે ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થતાં વિપક્ષને પણ મોટો મુદ્દો મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મોરબી જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના અન્ય કેટલાક નાના-મોટા હોદ્દેદારો પણ ખેડૂતોના સમર્થનમાં રાજીનામા ધરી દે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Morbi : જેતપરમાં ખેડૂત આંદોલનનો છઠ્ઠો દિવસ, તબિયત લથડતાં 3 ઉપવાસીઓને હોસ્પિટલ ખસેડાયા


  • Follow us on: