મોરબીના જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજપોલના વળતરના મુદ્દે શરૂ કરવામાં આવેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે છઠ્ઠા દિવસે અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યું છે. પોતાની ન્યાયી માંગણીઓ માટે લડત આપી રહેલા ખેડૂતો પૈકી 3 વ્યક્તિઓની તબિયત અચાનક લથડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉપવાસ પર બેઠેલા નિર્મળાબેન અઘારા, દક્ષાબેન અમૃતિયા અને નિલેશભાઈ એરવાડીયાની તબિયત વધુ લથડતાં ગત મોડી સાંજે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગામોગામથી જબરદસ્ત જનસમર્થન
છેલ્લા છ દિવસથી શરૂ થયેલું આ આંદોલન હવે સ્થાનિક કક્ષાએથી ઉપર ઉઠીને રાજ્યવ્યાપી બની ગયું છે. ખેડૂતોની આ એકજુટ લડતને ગામોગામથી જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે. જેતપરના આ ખેડૂત આંદોલનને વિવિધ ગામના સરપંચોએ પણ પોતાના લેટર પેડ પર લેખિત સમર્થન આપીને આ લડતને એક ‘બિનરાજકીય આંદોલન’ ગણાવ્યું છે. ખેડૂતોનો મુખ્ય આક્રોશ વીજપોલના વળતર બાબતે છે, જ્યાં તેમને યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદ છે.













