મોરબી જિલ્લામાં ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાં નજીવું વળતર ચૂકવી ખાનગી કંપનીઓ દ્વારા હેવી વીજલાઇન પસાર કરવા તેમજ થાંભલાઓ ખોડવા મુદ્દે જેતપર ખાતે ચાલી રહેલ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં પ્રતીક ઉપવાસ આંદોલન વચ્ચે આવતીકાલે આઠમી ઓગસ્ટના રોજ દેશવ્યાપી ખેડૂત આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકેત મોરબી આવી રહ્યા છે.આવતીકાલે રાત્રે તેઓ મોરબીના રવાપર રોડ પર કેપિટલ માર્કેટના ચોકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો,ખાસ કરીને વીજ લાઇન અને જમીનના યોગ્ય વળતર મુદ્દે સભા ગજાવશે.
નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી
ખેડૂત નેતા રાકેશ ટિક્તની જાહેરસભા અંગે ખેડૂત અગ્રણી અને પાટીદાર યુવા સંઘના અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે,હેવી વીજલાઇન વળતર મુદ્દે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી.ખેડૂતો ચાર ગણું વળતર માગી રહ્યા છે.આ ન્યાયિક લડાઈના સમર્થનમાં આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સભામાં મોરબી જિલ્લાના તમામ ખેડૂત પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.જોકે,ખેડૂત સભા માટે તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી છે.પરંતુ વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કક્ષાએથી જાહેરનામું બહાર પાડી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.ખેડૂત આગેવાનોએ તંત્રને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે સભા યોજી શકે તે માટે સહયોગ આપે.
