આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આસો નવરાત્રિને લઈ શક્તિપીઠ અંબાજીનું અનેરૂ મહત્વ છે. અંબાજી મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આવતીકાલે મંદિરમાં સવારે 9થી 10.30 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવશે. અંબાજી મંદિરમાં આજે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.


માં અંબાનો ચાચર ચોક ભક્તોની ભીડથી ઉભરાયો

અંબાજીમાં માં અંબાનો ચાચર ચોક ભક્તોની ભીડથી ઉભરાયો હતો. નવરાત્રિ પર્વને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. ચાચર ચોકને રોશનીથી શણગારવામાં આવ્યો છે. માતાજીનો મંડપ અને ગરબા ગાતા કલાકારો માટે ખાસ તૈયારીઓ કરાઈ છે. આવતીકાલથી ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે.નવરાત્રિ દરમિયાન દૂર દૂરથી ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી આવે છે.

અવનવી રોશની પણ લગાડવામાં આવી છે

મંદિરના પૂજારી રમેશ મહારાજે કહ્યું હતં કે, અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અવનવી રોશની પણ લગાડવામાં આવી છે. ભક્તો માટે ભોજન વ્યવસ્થા તેમજ પ્રસાદ કાઉન્ટરો વધારવાની પણ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.આઠમ અને પૂનમે સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવશે.દાંતા રાજવી પરિવાર પણ આઠમ ના દિવસે મોટા હવનમાં હાજર રહેશે.


  • Follow us on: