નવરાત્રીના પવિત્ર પર્વ પહેલા સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ નામની પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. ગરબા રમવા માટે પાર્ટનર ભાડે આપવાના અલગ-અલગ પેકેજ દર્શાવતી આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સંગઠનો અને સામાજિક આગેવાનો, સંતો દ્વારા આ પ્રકારના પ્રચારને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
1,000થી 2,000 સુધીના પેકેજ
વાયરલ પોસ્ટમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એમ 3 પેકેજ દર્શાવવામાં આવ્યા હતા. સિલ્વર પેકેજની કિંમત 1,000 દર્શાવવામાં આવી હતી, જેમાં 2 કલાક ગરબા રમવા ઉપરાંત એકસરખાં કપડાં, ગરબાના બેઝિક સ્ટેપ્સ અને સેલ્ફી જેવી બાબતોનો સમાવેશ કરાયો હતો.

કાર્યક્રમ બાદ દુપટ્ટો અને ઝુમકા ઠીક કરવામાં મદદ
1,500ના ગોલ્ડ પેકેજમાં 4 કલાક ગરબા રમવા ઉપરાંત મુલાકાતની ‘કહાની’ તૈયાર કરવાની અને સોશિયલ મીડિયા માટે વીડિયો આપવાની વાત કરવામાં આવી હતી. જ્યારે 2,000ના પ્લેટિનમ પેકેજમાં આખો દિવસ ગરબા રમવા ઉપરાંત કાર્યક્રમ બાદ દુપટ્ટો અને ઝુમકા ઠીક કરવામાં મદદ તથા ગ્રાહકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની સુવિધાનો દાવો કરવામાં આવ્યો હતો.
પોસ્ટમાં નિકટતા દર્શાવતી બાબતોનો પણ ઉલ્લેખ
પોસ્ટમાં શારીરિક નિકટતા દર્શાવતી બાબતોનો પણ ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ પોસ્ટ સાથે જોડાયેલા ઇન્સ્ટાગ્રામ યુઝરે તેને પોતાના પ્રોફાઇલ પરથી ડિલીટ કરી હોવાની માહિતી સામે આવી છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ અંગે સવાલ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રભારી ડૉ. પૂર્વેશ ડાકેચાએ આ પ્રકારના મેસેજ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ આજની યુવા પેઢી ધર્મ, શ્રદ્ધા અને વિજ્ઞાન તરફ આગળ વધી રહી છે ત્યારે આવા પ્રચાર દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. તેમણે આવા મેસેજ ફેલાવનારા તત્વોને શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર આવા અનૈતિક પ્રચાર સામે પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

સનાતન ધર્મને થતી હાની અટકાવવી જોઇએ
આ મામલે પ્રતિક્રિયા આપતા વડોદરાના મહંત જ્યોર્તિનાથ મહારાજે સંદેશ ડિજીટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખરેખર આ કૃત્ય મોર્ડનાઇઝેશનનો અતિરેક છે અને સંસ્કૃતિનું હનન કરનારી પોસ્ટ છે. આવી પ્રવૃત્તિ ક્યારેય ના ચલાવી લેવાય. હું કહેવા માંગુ છું કે આયોજકો અને માતા પિતા અને ખુદ સરકારે પોતે પણ અગમચેતીના પગલા લઇ સનાતન ધર્મને થતી હાની અટકાવવી જોઇએ.

ગરબાના કોમર્શિયલકરણ સામે અવાજ
વડોદરાના ગાયક અચલ મહેતાએ પણ સંદેશ ડિજીટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિશ્વમાં વડોદરાના ગરબા પ્રસિદ્ધ છે તેનું કારણ એ છે કે માતાજીના ગરબા અને માતાજીની આરાધના..તેનું કોમર્શિયલકરણ ક્યારેય ના કરી શકાય. વડોદરામાં અમે ગરબા વર્ષોથી પારંપરીક સાંસ્કૃતિક ગરબા થાય છે તેમાં નાના મોટા સૌ કોઇ ભાગ લે છે. ગરબા સોશિયલ કલ્ચરલ ઇવેન્ટછે
કડક કાર્યવાહીની માંગ
આ મામલે વાયરલ મેસેજની હકીકત અને તેની પાછળ કોણ છે તેની તપાસ કરવાની માંગ ઉઠી છે. સાથે જ નવરાત્રી દરમિયાન ડ્રગ્સ, દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. જોકે વાયરલ પોસ્ટના દાવાઓની સત્તાવાર તપાસ અથવા તેની પાછળની વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવવાની બાકી છે.
આ પણ વાંચો : Ahmedabad : સરકારી પૈસે લિપસ્ટિક-ડ્રેસ? ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી ડૉ. નીરજા ગુપ્તાના વિદેશના બિલોએ ખોલ્યો ખરીદીનો ખેલ