નવસારી જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની અત્યંત ઉત્સાહભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મંત્રી નરેશ પટેલે જાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક સાર્થક સંદેશ આપ્યો હતો અને ઉપસ્થિત લોકોને વૃક્ષો વાવીને તેની યોગ્ય માવજત કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

પર્યાવરણ પ્રેમીઓનું સન્માન અને વિવિધ સહાય-ચેકનું વિતરણ

વન મહોત્સવના આ વિશેષ આયોજન દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્થાનિક નાગરિકો તથા સંસ્થાઓનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સામાજિક અને આર્થિક ઉત્થાનને વેગ આપવાના હેતુથી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મંચ પરથી સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી લાભાર્થીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

પર્યાવરણ જાળવણીના મઅભિયાનમાં જોડાવા કેબિનેટ મંત્રીની અપીલ

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેબિનેટ મંત્રી નરેશ પટેલે વધતા જતા પ્રદૂષણ અને પર્યાવરણીય પડકારો સામે લડવા માટે વૃક્ષારોપણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે નવસારી જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને સામાજિક સંગઠનોને પર્યાવરણ જાળવણીના આ પવિત્ર અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા તથા જિલ્લાને વધુ હરિયાળો અને સ્વચ્છ બનાવવા માટે સક્રિય યોગદાન આપવા હૃદયપૂર્વક અપીલ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : વિરમગામના ખુડદ ગામે ભવ્ય લોકમેળો! 10 હજારથી વધુ ભાવિકોએ દશામાના દર્શન કર્યા