નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે જિલ્લાની કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ગણદેવીમાં 8.69 ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય તાલુકાઓ એટલે કે ચીખલીમાં 7.47 ઇંચ, ખેરગામમાં 5.43 ઇંચ અને નવસારી શહેરમાં 4.98 ઇંચ વરસાદ પડી ગયો છે. આવા અતિભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં 92 જેટલા માર્ગો બંધ થયા છે. 


જનજીવન પ્રભાવિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને કારણે નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરની સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલના પાર્કિંગમાં પાણી ભરાતા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગણદેવી તાલુકામાં 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ પડતા અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બીલીમોરા શહેર અને તેના નજીકના તલોધ વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી છે. 

મંદિર અને સ્મશાન ભૂમિ પાણીમાં ગરકાવ

નવસારીના પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે મંદિર પાણીમાં ગરકાવ થયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં પણ પાણી ભરાતા અંતિમ સંસ્કારની વિધિમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિએ સ્થાનિક તંત્ર માટે પડકારો ઉભા કર્યા છે. જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી અને રાહત-બચાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: