નવસારીના ખેરગામ તાલુકાના ગૌરી ગામ સ્થિત આશ્રમશાળામાં થોડા સમય પહેલા ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. આ શાળામાં ભણતા 20 જેટલા વિદ્યાર્થીઓ અને એક શિક્ષકની તબિયત લથડતાં તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.આ ઘટના બાદ કેબિનેટ મંત્રી નરેશ પટેલે આ શાળાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મામલો બિચક્યો હતો. મંત્રી પર ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ટ્રસ્ટના પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો
આ શાળામાં ટ્રસ્ટના પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. હાલમાં પ્રમુખની બહેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી નરેશ પટેલ પર સીધા આરોપ લગાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં આશ્રમશાળા બંધ કરી દેવાની ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ વિવાદ બાદ મંત્રીએ તાત્કાલિક આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. આ વીડિયો મામલે મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે, બાળકોના ભવિષ્યને લઈને સ્થિતિ ગંભીર છે. જો બાળકોનું ભવિષ્ય જોખમાય તો ઠપકો આપવો પડે.
ધમકી આપવાના અમારા સંસ્કાર નથી: નરેશ પટેલ
કેબિનેટ મંત્રી નરેશ પટેલે એવું પણ કહ્યું હતું કે, બાળકોના ભવિષ્યને લઈને આપવામાં આવેલા ઠપકાને ધમકી સમજી લેવાશે તો વિભાગ સાથે સંકલન કેવી રીતે થશે. ધમકી આપવાના અમારા સંસ્કાર નથી. અહીં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે હું આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, ગ્રામ મંડળ ટ્રસ્ટના પ્રમુખ બિપિન ગરાસિયાના બહેને મંત્રીને સંબોધીને એક વીડિયો વાયરલ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ટ્રસ્ટના પ્રમુખ ઉર્મિલા બહેને મંત્રી સામે ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે.









