પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. મંદિરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિકો અને બે સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચમહાલના પોલીસ અધિક્ષક (SP) એ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.


મૃતકોની યાદી અને ઓળખ

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ લોકોમાં વિવિધ રાજ્યોના નાગરિકોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના રહેવાસી અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ, જમ્મુ-કાશ્મીરના બે રોપવે ઓપરેટર મહમદ અનવર મહમદ શરીફખાન અને બળવંતસિંહ ધનીરામ. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેમાં બોડેલીના મોતીપુરા ગામના મંદિર સિક્યુરિટી દિલીપસિંહ નવલસિંહ કોળી, જૂની બોડેલીના અન્નક્ષેત્રના સેવક હિતેષભાઈ હસમુખભાઈ બારીઆ અને સુરેશભાઈ રાયજીભાઈ માળી નો સમાવેશ થાય છે.

દુર્ઘટનાના કારણોની તપાસ અને તંત્રની કાર્યવાહી

આ ઘટના બાદ, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાએ યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને જ્યારે હજારો યાત્રાળુઓ અહીંના મુખ્ય રોપવેનો ઉપયોગ કરે છે. સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારની દુર્ઘટના ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


  • Follow us on: