ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના મોટા દાવા કરવામાં આવે છે. ત્યારે મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટનાએ આવા પોલા દાવાઓને ખુલ્લા કરી નાંખ્યા છે. પાટણમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી મુદ્દે થયેલા વિવાદમાં એક વ્યાજખોરે નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલા સુરક્ષાની વાતો કરનારા અત્યારે આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરશે તે તો એક સવાલ છે પણ રાજ્ય મહિલા આયોગે આ ઘટનાને લઈને સુઓમોટો એક્શન શરૂ કરી છે. 

રાજ્ય મહિલા આયોગે સુઓમોટો એક્શન શરૂ કરી

પાટણમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી મુદ્દે ફાટી નીકળેલા વ્યાજખોરે એક નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને રાજ્ય મહિલા આયોગે સુઓમોટો એક્શન શરૂ કરી છે. મહિલા આયોગે પાટણ પોલીસ પાસે તપાસ અહેવાલ મંગાવ્યો છે. હવે આયોગ પીડિત પરિવારની મુલાકાત લઈ શકે છે. પાટણ પોલીસ સાથે આ ઘટનાને લઈને આયોગ દ્વારા સતત સંકલન શરૂ કરાયું છે. આયોગે આ ઘટનાને અતિ ગંભીર અને ધૃણાસ્પદ ગણાવી છે. 

મહિલાનું સારવાર દરમિયાન મોત 

પાટણની રહેવાસી પિંકીબેન પટણી નામના મહિલાએ પોતાના ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. પિંકીબેને વ્યાજખોર બાબુ રાવળ પાસે નાણાં ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી. પરંતુ વ્યાજના નશામાં અંધ બનેલા આરોપી બાબુ રાવળે ઉશ્કેરાઈ જઈને મહિલા પર હુમલો કરી દીધો હતો. વિવાદ એટલો વધ્યો કે નરાધમ બાબુએ મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડીને ક્રૂરતાપૂર્વક આગ ચાંપી દીધી હતી.આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ Surat News:કામરેજના ધાતવા ગામે ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત