ગઈકાલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ ખાતે બેઠક યોજી હતી.આ બેઠકમાં તેમણે ટૂંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેવા સંકેત આપ્યા હતાં.આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે,મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે.આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું.તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આજે સવારે રાજભવન ખાતે સી.આર. પાટીલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહત્વના સમાચારો સામે આવ્યા છે.


નવરાત્રિ પહેલા કે બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થશે

ગુજરાતના મંત્રીમંડળમાં થનારા ફેરફારો અંગે મોટા સમાચારો સામે આવ્યાં છે. વિધાનસભાનું સત્ર યોજાવાનું હોવાથી 21 સપ્ટેમ્બર સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય. આ સત્ર માટેનું સાહિત્ય છપાઈ ગયું છે. આ સત્ર બાદ શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યાં છે. તમામ મંત્રીઓ હાલ વિધાનસભાની કામગીરીમાં વ્યસ્ત છે. જેથી નવરાત્રિ અથવા તો નવરાત્રિ બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ બાબતે વડાપ્રધાન સાથે ચર્ચાઓ થઈ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. આજે સવારે રાજભવન ખાતે સી.આર. પાટીલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

પાટીલે ગઈકાલની બેઠકમાં સંકેત આપ્યા હતાં

ગુજરાત ભાજપને જલ્દીથી નવા અધ્યક્ષ મળશે અને મંત્રી મંડળનું વિસ્તરણ પણ થશે” આ શબ્દો સાથે આગામી ટૂંક સમયમાં ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારના સંકેતો પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આપ્યા હતાં.કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજંયતિ બીજી ઓક્ટોબર દરમિયાન યોજનારા ‘સેવા પખવાડિયા’ના આયોજન માટે ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓની બેઠક હતી. જેને સંબોધતા સૌથી છેલ્લે પાટીલે હવે ફરી બે વખત મળીશુ એમ કહેતા ઉપરોક્ત બંને વિષયો મુદ્દે સંકેતો આપ્યા હતા.


  • Follow us on: