અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં આજે પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શહેરના પૂર્વ વિસ્તારમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધીના 3.7 કિલોમીટર લાંબા રોડ શો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.


બાપુનગરથી પ્રારંભ અને ભવ્ય કાફલો

આ રોડ શોનો પ્રારંભ બાપુનગર ટોલ નાકા ખાતેથી કરવામાં આવ્યો હતો. રોડ શોમાં 1000 થી વધુ બાઈક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે ફ્લેગ ઓફ આપ્યા બાદ ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો શરૂ કરતા પૂર્વે બંને નેતાઓએ કાર્યકરોને સંબોધન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત

રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી કામ કરનારી પાર્ટી નથી. ભાજપનો કાર્યકર 365 દિવસ પ્રજાની વચ્ચે રહીને તેમના કામ કરે છે, અને એટલે જ ભાજપ આજે વધુને વધુ જનસમર્થન સાથે આગળ વધી રહી છે."

અમદાવાદમાં ભાજપનું વિરાટ શક્તિ પ્રદર્શન

આ રોડ શો બાપુનગર, વિરાટનગર અને નિકોલ એમ કુલ 3 વોર્ડમાંથી પસાર થયો હતો. સમગ્ર માર્ગ પર ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરીને નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ મેગા રોડ શો નિકોલ ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થશે. પ્રચારના છેલ્લા કલાકોમાં ભાજપે આ શક્તિ પ્રદર્શન દ્વારા વિરોધ પક્ષો સામે મજબૂત પડકાર ફેંક્યો છે.

આ પણ વાંચો:Local body election 2026: મનપા કબજે કરવા ભાજપ સજ્જ, ઉમેદવારો અને કાર્યકરોએ રેલી દ્વારા દર્શાવ્યો વિજય વિશ્વાસ

  • Follow us on: