અમદાવાદ મહાનગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. સવારે 9 વાગ્યાથી લઈને મતગણતરી શરૂ કરાશે. મતગણતરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. આજે શહેરમાં બે સ્થળો પર મતગણતરી યોજાશે. જ્યારે જિલ્લા માટે પણ મતગણતરીના સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે.

અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે

અમદાવાદમાં આજે મહાનગર પાલિકાના 48 વોર્ડ માટે બે સેન્ટરો પર મતગણતરી હાથ ધરાશે. એલડી કોલેજ ખાતે 27 વોર્ડની ગણતરી થશે. જ્યારે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની ગણતરી હાથ ધરાશે. 9 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે ત્યાર બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. બે હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મનપાના 190 બેઠક માટે પરિણામ જાહેર થશે

અમદાવાદ જિલ્લામાં કૂલ 14 મતગણતરી કેન્દ્રો પર ગણતરી

અમદાવાદ જિલ્લામાં કૂલ 14 મતગણતરી કેન્દ્રો પર કામગીરી થશે. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક પૈકી એક કાસિન્દ્રા બેઠક બિન હરિફ થઈ છે. જેથી 33 બેઠક માટે ગણતરી હાથ ધરાશે. ત્રણ નગર પાલિકાની 96માંથી 24 બેઠકો બિનહરિફ થઈ છે. 72 બેઠકો માટે ગણતરી હાથ ધરાશે. 9 તાલુકા પંચાયતની 176 સીટ પર 11 બેઠકો બિનહરીફ થઈ છે. એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. તાલુકા પંચાયતની 164 બેઠકની ગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Gir Somnath : સોમનાથના શરણે ગૃહ મંત્રી અમિત શાહ, મંગળવારે સવારે કરશે વિશેષ પૂજા-જળાભિષેક