ગુજરાત રાજયના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજયમાં વરસાદી ઘટ વાળા જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાની વાત છે. જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યાં 10 કલાક વીજળી અપાશે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સૂચના આપી છે. ઘટવાળા જિલ્લાઓમાં નર્મદાનું પાણી આપવા પણ સૂચના અપાઈ છે.
9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરાશે
ગુજરાતમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરાશે, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરતના માંડવીમાં યોજાશે અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આ નિવેદન આપ્યું છે, 27 વિધાનસભામાં પણ ઉજવણી કરાશે અને તમામ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી છે.
આજે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી
આજે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં ખાતરની તંગી અને ઉદભવેલા પ્રશ્ન પર સમીક્ષા કરાઈ છે, વીજળીની માગ અને સિંચાઈને લઈ પણ ચર્ચા કરાઈ છે, સ્વતંત્ર પર્વના રાજ્ય કક્ષાના કાર્યક્રમ પર પણ ચર્ચા કરાઈ હતી.
સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય
ગુજરાતની ધરતીને રસાયણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપરાંત સેન્દ્રીય ખેતીને પણ પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ APEDA દ્વારા માન્ય કરાયેલી સંસ્થાઓ મારફતે સર્ટિફિકેશન કરાવવાની પ્રક્રિયામાં ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન માટે થતા ખર્ચમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે
આ ઉપરાંત APEDA માન્ય તમામ સંસ્થા પાસેથી જે ખેડૂતો દ્વારા સેન્દ્રીય ખેતી સંબંધીત સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા હોય, તેવા ખેડૂતોને “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ વાર્ષિક ધોરણે પ્રોત્સાહન રૂપે પ્રતિ હેક્ટર રૂ. ૫,૦૦૦ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ઇનપુટ સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે માટે APEDA માન્ય સંસ્થાઓ પાસેથી સેન્દ્રીય ખેતી સંબંધિત સર્ટિફિકેટ મેળવ્યું હોય તેવા તમામ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે.