ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને મોટા ફેરફારોને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સુનીલ બંસલ CM ના નિવાસસ્થાને મંત્રીઓ સાથે 'વન-ટુ-વન' બેઠક યોજવાના છે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી પણ હાજર રહી શકે છે, જે સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વયને મજબૂત બનાવશે. આ બેઠક ખાસ કરીને એવા મંત્રીઓ સાથે કરવામાં આવશે, જેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવનાર છે.
બેઠકમાં જ રાજીનામા પર લેવાશે સહી
મંત્રીમંડળમાં ફેરફારની પ્રક્રિયા અત્યંત ઝડપી અને ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM નિવાસસ્થાને યોજાનારી આ વન-ટુ-વન બેઠકમાં જ મંત્રીઓના રાજીનામા પર તેમની સહી લેવામાં આવશે. આ નિર્ણય દર્શાવે છે કે પક્ષ હાઈકમાન્ડ હવે કોઈ વિલંબ કર્યા વિના મોટા ફેરફારો કરવા માંગે છે. જે મંત્રીઓને પડતા મુકવાના છે, તેમને આ બેઠકમાં જ તેમના નિર્ણય વિશે જાણ કરવામાં આવશે અને તાત્કાલિક રાજીનામું લેવામાં આવશે. હાલમાં તમામ મંત્રીઓ તેમના સરકારી નિવાસસ્થાને હાજર છે અને તેઓ આ બેઠક માટેના સંકેતોની રાહ જોઈ રહ્યા છે.













