રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ગઢને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી 23મી તારીખે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળશે, કારણ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાને ઉતરશે. તેઓ રાજકોટમાં પાવર પેક્ડ રોડ શો કરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં રોડ શો કરશે
મળતી માહિતી મુજબ, રાજકોટમાં 23મીની સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દ્વારા તેઓ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભાજપનું શક્તિનું પ્રદર્શન કરશે. નાયબ મુખ્યમંત્રી માત્ર વાહન પર સવાર થઈને જ નહીં, પરંતુ ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે) જઈને પણ લોકો સાથે સંવાદ કરશે અને ભાજપના શાસનકાળની સિદ્ધિઓ ગણાવશે. રાજકોટ શહેર ભાજપ સંગઠન દ્વારા આ પ્રચાર અભિયાનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ સ્તરે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.













