ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતમાં મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય ન રમાઈ હોય તેવી ગંદી રાજનીતિ AAP દ્વારા રમવામાં આવી રહી છે.
ટિકિટના નામે લાખોની ઉઘરાણીનો આક્ષેપ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "ગુજરાતમાં AAP ના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે. પાર્ટીના જ કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે ટિકિટના નામે ૩ લાખ, ૫ લાખ અને ૧૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા છે." તેમણે ઉમેર્યું કે કાર્યકરો કહે છે કે ઇન્ચાર્જે રૂપિયા લીધા, જ્યારે ઇન્ચાર્જ કહે છે કે પ્રદેશ નેતાઓએ રૂપિયા લીધા. ગુજરાતભરમાંથી મળેલી આવી અનેક અરજીઓની હાલ તપાસ ચાલી રહી છે.
"મુસ્લિમોને ભડકાવવાનું દુઃખદ કૃત્ય"
AAP ના ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા ભડકાઉ નિવેદનો પર નિશાન સાધતા DyCM એ કહ્યું કે, "નિયમો તોડવા માટે એક ખાસ વર્ગને ભડકાવવામાં આવી રહ્યો છે. રસ્તામાં મસ્જિદ-મજાર બનાવવાની અને ગમે ત્યાં નમાજ પઢવાની છૂટ આપવાના વાયદા કરવામાં આવે છે. આ ગુજરાતની સંસ્કૃતિ નથી અને આવા 'હસીન સપના' ક્યારેય સાકાર થવા દેવામાં આવશે નહીં."
પંજાબની સ્થિતિ અને ગુજરાતની જનતા
હર્ષ સંઘવીએ પંજાબનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પંજાબના લોકોને કઈ રીતે ભરમાવવામાં આવ્યા હતા તે આખું દેશ જાણે છે અને આજે ત્યાં શું સ્થિતિ છે તે પણ જનતા જોઈ રહી છે. AAP દરેક ચૂંટણીમાં નવા તાઈફા લાવે છે, પરંતુ ગુજરાતની જનતાની સુરક્ષા અને શાંતિ જાળવવી એ ભાજપના દરેક કાર્યકરનો સંકલ્પ છે.
આ પણ વાંચો: Junagadh: વંથલીમાં અકસ્માત બાદ ભારે હિંસા, ગ્રામજનોએ ડમ્પર ફૂંકી માર્યું અને કાચ ફોડ્યા