ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. વેરાવળ તાલુકાના આદરી વાવડી ગામે આયોજિત એક વિશાળ ચૂંટણી સભામાં તેમણે સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા હતા અને વિસ્તારના વિકાસ કાર્યોનો શ્રેય ભાજપના નેતાઓને આપ્યો હતો.
ધારાસભ્યની ચુપકીદી પર નિશાન
જનસભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "સોમનાથના ધારાસભ્ય વિધાનસભાના સત્ર દરમિયાન માત્ર ચુપકીદી સેવીને બેસી રહે છે. તેમણે ક્યારેય આ વિસ્તારના જ્વલંત પ્રશ્નો કે વિકાસની જરૂરિયાતો માટે વિધાનસભાના ગૃહમાં કોઈ રજૂઆત કરી નથી." તેમણે ઉમેર્યું કે જનતાએ જેમને વિશ્વાસ સાથે મત આપ્યા છે, તે ધારાસભ્ય લોકોનો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે.










