ભારતીય રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનના મુસાફરોને વધુ એક મોટી સુવિધા આપવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્રએ નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેન ઓખા–તિરુપતિ એક્સપ્રેસ તરીકે દોડાવવામાં આવશે, જે લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રિકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ટ્રેન દર ગુરુવારે સવારે તિરુપતિથી પાછી રવાના થશે
આ ટ્રેન દર સોમવારે રાત્રે ઓખા સ્ટેશનથી ઉપડશે અને બે દિવસની મુસાફરી બાદ બુધવારે રાત્રે તિરૂપતિ પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન દર ગુરુવારે સવારે તિરુપતિથી પાછી રવાના થશે અને શનિવારે બપોરે ફરી ઓખા સ્ટેશન પર પહોંચી જશે. રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને તિરુપતિ દર્શન માટે જતા યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખીને આ નવી સાપ્તાહિક સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને વધુ આરામદાયક અને સીધી કનેક્ટિવિટી મળશે.
