ભારતીય રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનના મુસાફરોને વધુ એક મોટી સુવિધા આપવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્રએ નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેન ઓખા–તિરુપતિ એક્સપ્રેસ તરીકે દોડાવવામાં આવશે, જે લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રિકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ટ્રેન દર ગુરુવારે સવારે તિરુપતિથી પાછી રવાના થશે

આ ટ્રેન દર સોમવારે રાત્રે ઓખા સ્ટેશનથી ઉપડશે અને બે દિવસની મુસાફરી બાદ બુધવારે રાત્રે તિરૂપતિ પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન દર ગુરુવારે સવારે તિરુપતિથી પાછી રવાના થશે અને શનિવારે બપોરે ફરી ઓખા સ્ટેશન પર પહોંચી જશે. રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને તિરુપતિ દર્શન માટે જતા યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખીને આ નવી સાપ્તાહિક સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને વધુ આરામદાયક અને સીધી કનેક્ટિવિટી મળશે.

ભવિષ્યમાં આ રૂટ પર વધુ ટ્રેનો ઉમેરવાની શક્યતા

આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના ધાર્મિક યાત્રિકો અને વેપારીઓને મોટો ફાયદો થશે. અગાઉ મુસાફરોને તિરુપતિ જવા માટે અનેક ટ્રેન બદલવી પડતી હતી, પરંતુ હવે સીધી ટ્રેન સેવા મળવાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. રેલવે વિભાગે જણાવ્યું છે કે મુસાફરોની માગ અને પ્રતિસાદના આધારે ભવિષ્યમાં આ રૂટ પર વધુ ટ્રેનો ઉમેરવાની પણ શક્યતા છે. નવી ઓખા–તિરુપતિ એક્સપ્રેસથી રાજકોટ ડિવિઝનના રેલવે નેટવર્કને વધુ મજબૂતી મળશે અને મુસાફરી વધુ સુગમ બનશે.

આ પણ વાંચો : Prantij News: ખેતરમાં ભોંયરું બનાવી દારૂ સંતાડવાની બૂટલેગરની ફિલ્મી સ્ટાઇલ નિષ્ફળ, પોલીસે રૂ.2.51 લાખનો મુદ્દામાલ ઝડપ્યો