રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા એક 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ બાળક ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું અને તેની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ બાળકે દમ તોડતાં પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
ધ્રોલ પંથકના બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા
મળતી માહિતી અનુસાર, આ મૃતક બાળક મૂળ ધ્રોલ પંથકનું રહેવાસી હતું. બાળકમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકના લોહી અને અન્ય જરૂરી સેમ્પલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.
