રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા એક 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ બાળક ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું અને તેની સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ બાળકે દમ તોડતાં પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.

ધ્રોલ પંથકના બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા

મળતી માહિતી અનુસાર, આ મૃતક બાળક મૂળ ધ્રોલ પંથકનું રહેવાસી હતું. બાળકમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકના લોહી અને અન્ય જરૂરી સેમ્પલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ

ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલમાં પણ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા અન્ય 3 બાળ દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ACBનો મોટો ટ્રેપ, બે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા