રાજકોટ શહેરના ગીચ અને ધમધમતા ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા સર્જાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીતા મંદિર રોડ પર સ્થિત જલારામ ચોક નજીક અચાનક બોલાચાલી બાદ લોહિયાળ ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા ધર્મેન્દ્રસિંહ નામના શખ્સે ત્યાં ઊભેલા ઘનશ્યામ વાઘેલા પર કાળજાળ રીતે છરી વડે તૂટી પડીને શરીરના ભાગો પર પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા.

ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા

છરીના ઘા વાગતાં જ ઘનશ્યામ વાઘેલા લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. રાત્રિના સમયે સરાજાહેર હુમલો થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોર ધર્મેન્દ્રસિંહ તકનો લાભ ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘનશ્યામ વાઘેલાને લોહીલુહાણ હાલતમાં તુરંત જ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે તેમને બચાવવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ શરીર પરથી વધુ પડતું લોહી વહી જવાના કારણે અને ઊંડા ઘાના પરિણામે ઘનશ્યામ વાઘેલાનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસની કામગીરી અને સ્થિતિ

બનાવ અંગેની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બનાવ સ્થળનું પંચનામું કર્યું હતું. અંગત મન દુઃખ કે ક્યા કારણોસર ધર્મેન્દ્રસિંહે ઘનશ્યામ વાઘેલા પર હુમલો કર્યો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર થઈ ગયેલા હુમલાખોર આરોપી ધર્મેન્દ્રસિંહને ઝડપી લેવા માટે ભક્તિનગર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તેના શક્ય તમામ આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: નવા રિંગરોડ પર સ્વિફ્ટનો ભૂકો બોલી ગયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત