ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે લડી રહેલા તબીબી આલમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ખુશીના અને મહત્વના સમાચાર આવ્યા છે. હોસ્પિટલ સંચાલકોના અધિકૃત દાવો અનુસાર, ચાંદીપુરા વાયરસનો ભોગ બનીને સંપૂર્ણપણે સાજું થયેલું બાળક સમગ્ર રાજ્યનું સૌથી નાની વયનું દર્દી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ખુશીના સમાચાર
https://twitter.com/sandeshnews/status/2084930407456473430
ચાંદીપુરા વાયરસથી સાજું થયેલું બાળક
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના રહેવાસી પરિવારના માત્ર 3 માસના આ માસુમ બાળકને ગત 19 જુલાઈના રોજ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યું હતું. બાળકની ઉંમર અત્યંત નાની હોવા છતાં તબીબોની રાત-દિવસની સઘન માવજત અને ચોક્કસ દવાઓ સચોટ નીવડી હતી. બાળક વાયરસમાંથી સંપૂર્ણપણે મુક્ત થતાં આજે 5 ઓગસ્ટના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અન્ય 2 શંકાસ્પદ બાળકો સારવાર લઈ રહ્યા
રાજ્યના સૌથી નાના બાળકે વાયરસ સામેની જંગ જીતી લીધી છે, બીજી તરફ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચિંતાજનક સ્થિતિ પણ જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય 2 શંકાસ્પદ બાળકો સારવાર લઈ રહ્યા છે, જેમાંથી એક દર્દી જુનાગઢ જિલ્લાનું અને બીજું દર્દી રાજકોટ જિલ્લાનું છે.
બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર
હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળના આ બે શંકાસ્પદ બાળકો પૈકી એક બાળકની સ્થિતિ વધુ નાજુક બનતાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યું છે. આ બંને બાળકોના બ્લડ અને વાયરોલોજી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની વિધિવત પુષ્ટિ થશે. તબીબી ટીમ હાલ વેન્ટિલેટર પર રહેલા બાળકના સ્વાસ્થ્ય પર સતત વોચ રાખી રહી છે.
આ પણ વાંચો: Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા