રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ યોજનાની ફાળવણીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે.ફાળવણીમાં ગેરરીતિની આશંકાના પગલે મનપાના ઇતિહાસમાં પ્રથમવાર આવાસનો ડ્રો રદ કરવામાં આવ્યો છે.સોરઠિયાવાડી અને ગોકુલનગર વિસ્તારના 165 લાભાર્થીઓના આવાસો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં 165 પૈકી 50 જેટલા આવાસો જંગલેશ્વરના રહેવાસીઓને ફાળવવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓ દ્વારા આર્થિક વ્યવહાર કરાયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.આવાસ કૌભાંડના આ ખુલાસા વચ્ચે રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનું નામ સીધી રીતે વિવાદમાં આવતા રાજકારણ ગરમાયું છે. 

આવાસ કૌભાંડમાં ડેપ્યુટી મેયરનું નામ ખુલ્યું

નટરાજ નગરના સ્લમ વિસ્તારમાં આવેલી રાજીવ ગાંધી આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 119 ડે.મેયર દક્ષાબેન વસાણીના નામે હોવાનો ઘટસ્ફોટ થયો છે.આક્ષેપ છે કે બંગલામાં રહેતા હોવા છતાં દક્ષાબેન વસાણીએ ગરીબો માટેનું આવાસ પોતાના નામે મેળવી લીધું હતું અને આ આવાસના વેચાણ પહેલાં તેને ભાડે પણ આપવામાં આવ્યું હતું.હાલ આ ક્વાર્ટરમાં આલાભાઈ સુરા નામના વ્યક્તિ રહે છે અને તેમણે 8 લાખ રૂપિયામાં દક્ષાબેન પાસેથી આવાસ લીધું હોવાની ચર્ચા છે.આવાસનું વેરા બિલ પણ દક્ષાબેન જ ભરી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપના નેતાઓ ગરીબોના આવાસો છીનવી રહ્યા હોવાનો સુર ઉઠ્યો છે અને ચૂંટણીના સોગંદનામામાં પણ આ આવાસ દર્શાવવામાં આવ્યું ન હોવાનો ગંભીર આરોપ છે.મનપાના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી અને 2015થી 2024 દરમિયાન ભાજપના નેતાઓએ આવાસો મેળવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનો બચાવ

આ ગંભીર આક્ષેપો વચ્ચે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ જણાવ્યું હતું કે,વર્ષ 2001માં સૂચિત સોસાયટીમાં મેં દુકાન લીધી હતી અને પાંચ વર્ષ પછી ત્યાં ડિમોલિશન આવ્યું હતું.તંત્ર દ્વારા દુકાનના બદલામાં ક્વાર્ટર આપવા કહેવામાં આવ્યું હતું.પરંતુ મેં દુકાનના બદલામાં ક્વાર્ટર લેવાની ના પાડી હતી.તેમણે વધુમાં કહ્યું કે આ ક્વાર્ટરને થોડા સમય માટે ભાડે આપ્યું હતું અને પાડોશમાં રહેતા વ્યક્તિને વેચીને છ મહિના પહેલા જ તેનો દસ્તાવેજ કરી દીધો હતો.ચૂંટણી પહેલા જ ક્વાર્ટર વેચી નાખ્યું હોવાથી ચૂંટણીના સોગંદનામામાં તેનો ઉલ્લેખ નથી કર્યો.મેં ક્યારેય આવાસ ક્વાર્ટર માટે ફોર્મ ભર્યું નહોતું અને ડિમોલિશન સમયે ત્યાં 60 ઝૂંપડા હતાં તથા નળિયાવાળી ઓરડી જેવી દુકાન હતી. પોતાને ટાર્ગેટ કરવા અંગે તેમણે કહ્યું હતું કે હું સાચી છું એટલે કદાચ મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.કારણ કે મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી અને છેલ્લા 10 વર્ષથી મારા પર કોઈ દાગ નથી લાગ્યો.

આ પણ વાંચોઃ Mehsana News: ખેરાલુમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો