રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાના પ્રથમ દિવસે જ જનમેદની ઉમટી પડી હતી.3 વર્ષ પછી રાજકોટની પવિત્ર ધરતી પર આવવાનો અવસર મળતાં જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રચંડ હુંકાર કર્યો હતો.પોતાના સંબોધનમાં વિરોધીઓને આડેહાથ લેતા તેમણે એક મોટું નિવેદન આપ્યું કે, જેટલી પરીક્ષાઓ મારી થઈ છે,તેટલી તો કદાચ સીતા માતાની પણ નહોતી થઈ.તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં પણ તેમનો વિરોધ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે.પરંતુ સૌથી મોટું દુઃખ એ વાતનું છે કે સનાતનીઓ જ સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે.


દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત

તેમણે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપતા સવાલો ઉઠાવ્યા કે,જો મારો વિરોધ કરનારાઓએ આટલો વિરોધ લવ જેહાદનો કર્યો હોત તો આજે લવ જેહાદની ઘટનાઓ ન બનતી હોત.જો આટલો વિરોધ વિધર્મીઓનો કરાયો હોત તો ભારત ક્યારનુંય હિન્દુ રાષ્ટ્ર બની ગયું હોત અને જો પાદરી કાદરીઓનો આટલો વિરોધ થયો હોત તો દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત.ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ અંધશ્રદ્ધા કે જાદુટોણા નથી ફેલાવતા,પણ તેમની પાસે જે કંઈ છે તે માત્ર હનુમાનજીની પરમ કૃપા છે.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ જંપીશું

આગામી રવિવારે તેઓ રાજકોટમાં એક ભવ્ય દિવ્ય દરબાર લગાવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પાદરી-કાદરીઓ પાસે જતા અટકાવીને ધર્માંતરણ રોકવાનો છે, જેથી લોકો અહીં આવીને ઓછામાં ઓછું હનુમાન ચાલીસાના પાઠ તો કરે.અંતમાં તેમણે પોતાના દૃઢ સંકલ્પને દોહરાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,ગમે તેટલો વિરોધ થાય છતાં તેઓ સનાતન ધર્મની વાતો કરવાનું ક્યારેય છોડશે નહીં.તેમનો એકમાત્ર પવિત્ર ઉદ્દેશ્ય દેશના તમામ હિન્દુઓને એક કરવાનો છે.તેમણે સભા સમક્ષ ગર્જના કરતા કહ્યું કે,હું હિન્દુઓને એક કરવા માટે જ નીકળ્યો છું અને આપણે સૌ સાથે મળીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ જંપીશું.તેમના આ આક્રમક અને પ્રેરણાદાયી સંબોધનથી સમગ્ર કથા મંડપ જય શ્રી રામ અને બાગેશ્વર ધામ કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.

આ પણ વાંચોઃ Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ


  • Follow us on: