અમરેલીના લાઠી પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને આંચકો આપતા સમાચાર સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતા લુવારિયા વીડી વિસ્તારમાં એક સિંહણનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની ઘોર બેદરકારી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
વન પ્રશાસનની ઘોર લાપરવાહી
મળતી વિગતો મુજબ, મૃતક સિંહણ છેલ્લા બે દિવસથી લુવારિયા વીડી વિસ્તારમાં ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. વન વિભાગનો સ્ટાફ આ બાબતથી તદ્દન અજાણ હતો અને આખરે સિંહણે દમ તોડી દીધો ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેની જાણ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જવાબદાર ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો છે.













