રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા તુલસીશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયેલા લોહાણા સમાજના એક યુવકને મંદિરમાં પ્રવેશવાની કથિત મનાઈ ફરમાવવાનો મામલો સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે.આ ઘટનાના વિરોધમાં લોહાણા સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી સ્વરૂપે મંદિરે પહોંચ્યા હતા અને પૂજારી વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

લોહાણા સમાજના યુવાનો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો

રઘુવંશી સમાજના યુવક રચિત તન્ના જ્યારે તુલસીશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિરના પૂજારી મહેશભાઈ દ્વારા તેમને મંદિરમાં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. યુવકે આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જેનાથી સમગ્ર લોહાણા સમાજમાં અસંતોષની લાગણી જન્મી હતી.બીજી તરફ, મંદિરના પૂજારી મહેશભાઈએ યુવક પર મંદિરમાંથી ચોરી કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપોને કારણે પૂજારી અને લોહાણા સમાજના યુવાનો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

યુવાનોએ રેલી કાઢી પૂજારીના આક્ષેપો ફગાવ્યા

પૂજારી દ્વારા લગાવવામાં આવેલા ચોરીના આક્ષેપો બાદ લોહાણા સમાજના યુવાનો રેલી સ્વરૂપે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.રચિત તન્ના અને લોહાણા સમાજના યુવાનોએ ચોરીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. યુવકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે,તેમણે મંદિરના ટ્રસ્ટ અને દાનના હિસાબ-કિતાબ અંગે પૂછપરછ કરી હતી,જેનાથી બચવા માટે પૂજારીએ તેમના પર ચોરીના ખોટા આરોપો લગાવ્યા છે.યુવાનોએ જણાવ્યું હતું કે,આ મંદિર સાર્વજનિક છે અને ધાર્મિક સ્થળ પર દરેક નાગરિકને પ્રવેશ કરવાનો તથા મહાદેવના દર્શન કરવાનો સમાન અધિકાર છે.કોઈ પણ પૂજારી વ્યક્તિગત રીતે કોઈ પણ શ્રદ્ધાળુને દર્શન કરતા અટકાવી શકે નહીં. યુવાનોએ આ મામલે મંદિર સાર્વજનિક રહે અને પૂજારી પોતાના મનસ્વી નિર્ણયો ન લે તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃ Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો