રાજકોટના ગોંડલ તાલુકામાં જેટકો કંપનીની હાઈટેન્શન લાઈન અને વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. ગોંડલ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં નાયબ કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જામજોધપુર, જસદણ, મોરબી અને જેતપુર તાલુકાના અંદાજે 16,000 જેટલા પ્રચંડ જનમેદની સાથે ખેડૂતો જોડાયા હતા, અને સરકાર સામે આરપારની લડાઈના મંડાણ કર્યા હતા.
વળતર વિના કામગીરીનો વિરોધ, હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે, યોગ્ય વળતર અને કાયદેસરના એગ્રીમેન્ટ કર્યા વિના જ ખેતરોમાં ગેરકાયદે વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ અન્યાય સામે હવે કિસાન સંગઠનો કાયદાકીય લડત આપવાના મૂડમાં છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સામૂહિક રિટ પિટિશન દાખલ કરશે. આ સાથે જ નાયબ કલેક્ટર મારફત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાઈટેન્શન લાઈનની કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

બિનરાજકીય રેલીમાં 'આપ' નેતાની એન્ટ્રીથી માહોલ
આ વિશાળ ખેડૂત આંદોલન વચ્ચે ત્યારે ભારે રાજકીય ગરમાવો આવી ગયો, જ્યારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીષાબેન પટેલ આ રેલીમાં જોડાયા હતા. રેલી સંપૂર્ણપણે બિનરાજકીય હોવાથી કિસાન અગ્રણી રાજુભાઈ સખીયા અને જીગીષાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કિસાન નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ખેડૂતોની લડાઈ છે, આમાં કોઈ રાજકીય રોટલા શેકવા દેવામાં નહીં આવે. વિવાદ વધતાં અને મામલો બિચકે તે પહેલાં જ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી 'આપ' નેતા જીગીષાબેન પટેલને રેલી અધવચ્ચે જ છોડીને રવાના થવાની ફરજ પડી હતી.

ગુજરાતના 18,000 ગામડાં ખળભળશે
ગોંડલથી શરૂ થયેલી આ ચિંગારી હવે આખા ગુજરાતમાં ફેલાય તેવા એંધાણ છે. ખેડૂત અગ્રણીઓએ સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો વહેલી તકે ખેડૂતોના હિતમાં અને યોગ્ય વળતર આપવાનો નિર્ણય કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતના તમામ 18,000 ગામડાંના ખેડૂતોને એકમંચ પર લાવીને રાજ્યવ્યાપી ઉગ્ર અને અભૂતપૂર્વ આંદોલન છેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વીજપોલ મામલે રાજ્યમાં ઘણા જિલ્લામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot News: ધોરાજીમાં તંત્ર એક્શન મોડમાં, અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરાયા