રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહેલો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેલના બજારમાં ફરી એકવાર તેજીનો કરંટ જોવા મળ્યો છે, જેમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30 અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 40નો ધરખમ વધારો ઝીંકાયો છે. તહેવારોની સીઝન નજીક આવી રહી છે તેવા સમયે જ ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

15 દિવસમાં સીંગતેલમાં રુ. 165નો વધારો

છેલ્લા કેટલાક સમયથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા માત્ર 15 જ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂપિયા 165 અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 155 જેટલો તોતિંગ ભાવ વધારો નોંધાઈ ચૂક્યો છે. બજારના વેપારીઓના મતે, ચાલુ વર્ષે કપાસિયા અને મગફળીના વાવેતરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે યાર્ડમાં કાચા માલની આવક ઓછી થઈ રહી છે. મિલ માલિકોને પૂરતા પ્રમાણમાં માલ ન મળવાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને બજારમાં સપ્લાય ઓછી થતાં આ ભાવ વધારો યથાવત રહ્યો છે.

આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતા

હાલની બજારની પરિસ્થિતિ જોતા ગ્રાહકો માટે હજુ પણ રાહતના કોઈ સમાચાર દેખાઈ રહ્યા નથી. વેપારીઓ અને બજારના નિષ્ણાતોનું માનવું છે કે, જો આગામી દિવસોમાં મગફળી અને કપાસની આવકમાં સુધારો નહીં થાય, તો ખાદ્યતેલના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સતત વધી રહેલી આ મોંઘવારીના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે અને બજારમાં તેલની ખરીદી પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Surat News : મોંઘીદાટ કાર ભાડે લઈ તેનું GPS બંધ કરી સગેવગે કરી દેતો, પોલીસે આરોપીને ઝડપ્યો