ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરવાની ભિતી સેવાઈ રહી છે. બીજી બાજુ વરસાદ હવે અટક્યો છે તેવામાં બજારમાં મળતા અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મીઠાઈ અને ફરસાણ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
53 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં ચાલતી ગેરરીતિઓ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં કુલ 53 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પરથી વાસી અને આરોગ્ય માટે નુકસાનકારક એવો મીઠાઈ, ફરસાણ, સમોસા તેમજ ચટણી સહિતનો કુલ 1226 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.જેને તાત્કાલિક અસરથી કબજે કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
