રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાનીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન (દબાણ હટાવો) ઝુંબેશના ખર્ચના બિલોને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ કામગીરી માટે જે કોન્ટ્રાક્ટરોને રેટ કોન્ટ્રાક્ટ હેઠળ લાખો રૂપિયાના લહાણા વહેંચવામાં આવ્યા હતા, તેના પર શરૂઆતથી જ શંકાની સોય હતી. વિવાદ વધતાં મનપાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખે કડક વલણ અપનાવવાનો ડોળ કર્યો હતો, પરંતુ હવે તે બુમરેંગ સાબિત થયો છે.

સોમવારનો વાયદો અને બુધવારની પલટી

વિવાદના પ્રારંભે સોમવારે મેયર નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત સૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે અથવા કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા ચૂકવાયા હશે તો તેની ઓડિટ કરાવીને એક-એક રૂપિયો વસૂલ કરવામાં આવશે. જોકે, આ નિવેદન બાદ બંને હોદ્દેદારો તાકીદે ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરે બેઠક કરીને પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ બંને નેતાઓના સૂર બદલાઈ ગયા હતા. ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયરે ફેરવી તોળ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટના નિયમો મુજબ ચૂકવાઈ ગયેલા પૈસા પરત લેવા ટેકનિકલી શક્ય નથી.

જવાબદાર અધિકારીઓ માટે સેફ એક્ઝિટ

મનપાના આ બદલાયેલા વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકોટની જનતાના ટેક્સના પૈસાનું ધોળા દિવસે ધોવાણ થઈ ગયું છે. ગાંધીનગરમાં કઈ એવી 'રાજકીય ગોઠવણ' થઈ કે કમિશનર અને મેયરે ગણતરીના કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલવું પડ્યું, તે હવે ચર્ચાનો વિષય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો આ મામલે તટસ્થ તપાસ થાય તો મનપાના કન્સ્ટ્રક્શન અને ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ જેલભેગા થઈ શકે તેમ છે. આ અધિકારીઓને બચાવવા માટે જ ઉપરથી આદેશ છૂટ્યા હોવાના કારણે તંત્રએ આસાનીથી હાથ ખંખેરી લીધા છે અને પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.

આ પણ વાંચો: Surat: યાર્ન માર્કેટમાં ૩ વેપારીઓ સાથે 1.63 કરોડની છેતરપિંડી, માલ પડાવી બે લેભાગુ વેપારીઓ રફુચક્કર