રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાનીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન (દબાણ હટાવો) ઝુંબેશના ખર્ચના બિલોને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ કામગીરી માટે જે કોન્ટ્રાક્ટરોને રેટ કોન્ટ્રાક્ટ હેઠળ લાખો રૂપિયાના લહાણા વહેંચવામાં આવ્યા હતા, તેના પર શરૂઆતથી જ શંકાની સોય હતી. વિવાદ વધતાં મનપાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખે કડક વલણ અપનાવવાનો ડોળ કર્યો હતો, પરંતુ હવે તે બુમરેંગ સાબિત થયો છે.
સોમવારનો વાયદો અને બુધવારની પલટી
વિવાદના પ્રારંભે સોમવારે મેયર નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત સૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે અથવા કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા ચૂકવાયા હશે તો તેની ઓડિટ કરાવીને એક-એક રૂપિયો વસૂલ કરવામાં આવશે. જોકે, આ નિવેદન બાદ બંને હોદ્દેદારો તાકીદે ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરે બેઠક કરીને પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ બંને નેતાઓના સૂર બદલાઈ ગયા હતા. ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયરે ફેરવી તોળ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટના નિયમો મુજબ ચૂકવાઈ ગયેલા પૈસા પરત લેવા ટેકનિકલી શક્ય નથી.
