જેતપુરના બોરડી સમઢીયાળા નજીક આવેલા રણુંજા મંદિરના ગાદીપતિ મહંત કરશનદાસ બાપુના આપઘાતના સમાચારથી સમગ્ર રાજકોટ જિલ્લા સહિત સાધુ-સંતોના સમાજમાં ભારે આઘાત છવાયો છે. રણુંજા મંદિર પંથકના હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને કરશનદાસ બાપુ લાંબા સમયથી અહીં ગાદી સંભાળી ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા હતા.
વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે કરશનદાસ બાપુ મંદિરમાં જોવા ન મળતા આસપાસના સેવકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન મંદિરની બિલકુલ સામે આવેલી વાડીના કૂવામાં જોતા બાપુનો મૃતદેહ પાણીમાં તરતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને સેવકો અને સ્થાનિક ખેડૂતોના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી ખૂબ જ જહેમત બાદ પૂજ્ય બાપુના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.










