રાજકોટમાં ઘરવિહોણા મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે RMC દ્વારા કટારિયા ચોકડી નજીક ૫૭૬ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવાની વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હતી, ત્યાં જ શાસક પક્ષ ભાજપની અંદરથી જ આ યોજના સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપના શહેર મહામંત્રી વલ્લભ દૂધત્રા અને સ્થાનિક કોર્પોરેટર દિલીપ લુણાગરીયાએ આવાસ યોજનાનો પ્લોટ બદલવા માટે કલેક્ટર અને RMCના સત્તાધીશો સમક્ષ લાઈવ મોરચો ખોલ્યો છે.


કોર્પોરેશનની તિજોરી ભરવાની દલીલ

રજૂઆત કરનારા નેતાઓની સત્તાવાર દલીલ એવી છે કે, કટારિયા ચોકડી પાસેનો આ પ્લોટ બિલકુલ હાઇવે અને મુખ્ય રોડ ટચ છે. જો આ પ્રાઇમ લોકેશનની જમીન પર આવાસ યોજના બનાવવામાં આવશે તો કોર્પોરેશનને આર્થિક નુકસાન થશે. તેના બદલે RMC આ પ્લોટને કોમર્શિયલ હેતુ માટે વેચે અથવા હરાજી કરે તો કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. આથી ૫૭૬ આવાસની યોજનાને હાઇવેથી થોડે દૂર કોઈ અંતરિયાળ પ્લોટ પર શિફ્ટ કરી દેવી જોઈએ.

નિર્ણય હવે રાજ્ય સરકારના હાથમાં

આ ચકચારી વિવાદ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ લાઈવ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "મને ગઈકાલે જ ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટર તરફથી પ્લોટની જગ્યા બદલવા અંગેની લેખિત રજૂઆત મળી છે. લોકહિત અને કોર્પોરેશનની આવકના સંદર્ભમાં આ રજૂઆત વિચારવા યોગ્ય છે. પરંતુ, જે પ્લોટ આવાસ માટે અનામત રાખવામાં આવ્યો હોય, તેનો હેતુફેર (ઝોનિંગ ચેન્જ) કરવાની સત્તા સ્થાનિક કોર્પોરેશન પાસે નથી. આ સત્તા સંપૂર્ણપણે ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગ પાસે છે. આથી, આખો મામલો યોગ્ય દરખાસ્ત બનાવીને ગાંધીનગર સરકારમાં મોકલવામાં આવશે અને ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ જ આગળનો નિર્ણય લેવાશે." આ રાજકીય ખેંચતાણના કારણે આવાસ યોજનાના ફોર્મ ભરવાની રાહ જોઈ રહેલા હજારો મધ્યમવર્ગીય પરિવારોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: સૈજપુરમાં એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો! નવા RCC રોડની બિલકુલ વચ્ચે જ રાખી દીધા પાણીના તોતિંગ વાલ્વ

  • Follow us on: