રાજકોટ શહેરમાં કુદકે ને ભૂસકે વધી રહેલા શહેરીકરણ અને વાહનોની સંખ્યાને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના અત્યંત ધમધમતા એવા કોઠારિયા વિસ્તારમાં રણુજા મંદિરની બરાબર સામે જંકશન પર નવો ઓવરબ્રિજ બનાવવાની યોજનાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

કોઠારિયા વિસ્તારમાં બનશે 17 કરોડનો નવો ઓવરબ્રિજ

આ બ્રિજના નિર્માણ માટે મનપા દ્વારા રૂ. 17 કરોડનું સત્તાવાર ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાથી કોઠારિયા રોડ, નેશનલ હાઇવે અને આસપાસની સોસાયટીઓને સાંકળતો વાહનવ્યવહાર અત્યંત ઝડપી અને સલામત બનશે.કોઠારિયા રણુજા મંદિર સામે હાલ માત્ર 8 મીટરની પહોળાઈ ધરાવતો નાનો બ્રિજ/નાળું આવેલું છે. જેના કારણે સવાર-સાંજ પીક અવર્સમાં તેમજ રણુજા મંદિરે તહેવારો અને રવિવારે આવતા માઈભક્તોના ભારે ધસારા સમયે અહીં કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગતી હતી.

નવા બ્રિજની વિશેષતાઓ અને ફાયદા

તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલરૂપે હાલના 8 મીટરના સાંકડા બ્રિજના સ્થાને 22 મીટર પહોળાઈ ધરાવતો નવો ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ બ્રિજમાં વાહનોની અવરજવર માટે પહોળા લેન ઉપરાંત રાહદારીઓની સલામતી માટે ફૂટપાથ અને લાઇટિંગ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બ્રિજ કાર્યરત થતાં જ કોઠારિયા અને આસપાસના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના હજારો વાહનચાલકોનો સમય અને બળતણ બંને બચશે.