રાજકોટના આંગણે યોજાયેલા રોશની અને મનોરંજનના મહાપર્વ સમાન લોકમેળાનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે. રવિવારની જાહેર રજા અને મેળાનો છેલ્લો દિવસ હોવાથી સવારથી જ રેસકોર્સ મેદાન ખાતે મેળો માણવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મેળાની મોજ માણવા પહોંચી રહ્યા છે.
4 દિવસમાં 9 લાખથી વધુ મુલાકાતીઓ, આજે 2 થી 3 લાખ લોકો આવે તેવી શક્યતા
લોકમેળાના વિતેલા 4 દિવસ દરમિયાન 9 લાખથી પણ વધુ લોકોએ મેળાની મુલાકાત લઈને ખાણી-પીણી, ખરીદી અને રાઈડ્સની મજા માણી છે. આજે અંતિમ દિવસે રવિવારનો સંગમ હોવાથી એક જ દિવસમાં 2 થી 3 લાખ લોકો મેળામાં ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેને પગલે મેળાગ્રાઉન્ડ ખાતે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર રાઈડ્સ અકસ્માત બાદ રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ
તાજેતરમાં સુરેન્દ્રનગરમાં બનેલી રાઈડ્સ અકસ્માતની ઘટનાને પગલે રાજકોટનું વહીવટી તંત્ર અત્યંત એલર્ટ મોડમાં આવી ગયું છે. લોકમેળાના અંતિમ દિવસે પણ લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે 'યાંત્રિક રાઈડ્સ કમિટી' દ્વારા મેળાની તમામ નાની-મોટી રાઈડ્સનું સ્થળ પર જઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ફઝર રાઈડ્સમાં ખામી જણાતાં તાત્કાલિક લોક લગાવવામાં આવ્યા
ચેકિંગ દરમિયાન કમિટીની નજરે એક મોટી બેદરકારી સામે આવી હતી, જેમાં ફઝર રાઈડ્સના દરવાજામાં સેફ્ટી લોક ન હોવાનું ખુલ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાઈડ્સ સંચાલકને સૂચના આપીને લોક લગાવડાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, સેફ્ટીના તમામ ધોરણો પૂરા કર્યા બાદ જ રાઈડ્સ ચલાવવા દેવામાં આવશે, જેથી મેળામાં આવતા નાગરિકો સુરક્ષિત રીતે મનોરંજન મેળવી શકે.

આ પણ વાંચો: Rajkot News: જન્માષ્ટમીની મજા માતમમાં ફેરવાઈ, દહિસર ચેક ડેમમાં એક સાથે ડૂબ્યા ચાર બાળકો