રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાંની સાથે જ વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
નોંધાયેલા કેસોની વિગતવાર માહિતી
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ શહેરમાં વિવિધ રોગચાળાના કેસો નીચે મુજબ નોંધાયા છે.
રોગનું નામ નોંધાયેલા કેસ
- શરદી - ઉધરસ - 879
- સામાન્ય / વાયરલ તાવ - 916
- ઝાડા - ઉલટી - 417
- ટાઈફોઈડ - 02
- કમળો - 01
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, રાજકોટ શહેરમાં હાલ વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

તંત્ર દ્વારા 677 એકમોને દંડ અને 350+ સોસાયટીમાં ફોગિંગ કરાયું
રોગચાળાના વધતા કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મચ્છરજન્ય રોગો અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
- દંડની કાર્યવાહી: તપાસ દરમિયાન જે સ્થળોએ મચ્છરોના બ્રીડીંગ (ઉત્પત્તિ) મળી આવ્યા હતા તેવા 677 એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે.
- ડિઝઇન્ફેક્શન અને ફોગિંગ: મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે શહેરની 350થી વધુ સોસાયટીઓમાં વ્યાપક ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રહીશોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, ઉકાળેલું ચોખ્ખો ખોરાક અને પાણી વાપરવા તેમજ મચ્છરદાની કે મચ્છર ભગાડવાના ઉપાયો અજમાવવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો દેખાય કે તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર સારવાર લેવા જણાવાયું છે.
આ પણ વાંચો - Rajkotમાં ટ્રાવેલ કંપની ચલાવતા દંપતીની ઠગાઈ, જુઓ VIDEO