રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે જાણે પોતાનું વેતન વધે એમાં રસ હોય એ રીતે સતત બીજી વખતે માનદ વેતન વધારવા માંગણી ઉઠાવી છે.કોર્પોરેટરોને હાલમાં દર મહિને રૂ.15 હજાર રૂપિયાનું માનદ વેતન મળે છે જે ખૂબ ઓછું હોવાનું જણાવી તેમાં વધારો કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.અગાઉ સંકલન બેઠકમાં મૌખિક રજૂઆત કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી અને સંકલન બેઠક પૂર્ણ થતાં જ મહિલા કોર્પોરેટરોએ મેયરને રૂબરૂ મળીને માનદ વેતન વધારીને સીધું 50 હજાર કરવાની માંગણી કરતો લેખિત પત્ર સોંપ્યો હતો. 

સક્રિય કામગીરી માટે પગાર વધારાની માંગ

વેતન વધારાની આ માંગને વ્યાપક સમર્થન મળ્યું છે.આશરે 40 જેટલા કોર્પોરેટરોની સહીઓ મેળવીને આ રજૂઆત પત્ર માત્ર મેયરને જ નહીં પરંતુ મનપાના પાંખિય મુખ્ય પદાધિકારીઓને સોંપવામાં આવ્યો છે.માસિક માનદવેતનમાં એકસાથે 35 હજાર રૂપિયાના વધારાની માંગણીથી મનપામાં ચર્ચા જાગી છે.હવે પદાધિકારીઓ આ અંગે શું વલણ અપનાવે છે અને આ માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. આ ઉપરાંત,ફેબ્રુઆરી 2024માં પણ રાજકોટ મનપાના બજેટ સત્ર દરમિયાન કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ વધારો કરાયો હતો

મોંઘવારી અને વોર્ડના વિસ્તરણનું કારણ આપીને કોર્પોરેટરોની વાર્ષિક લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ રૂ.15 લાખથી વધારીને રૂ.20 લાખ કરવામાં આવી હતી. તેમજ મેયરની વિકાસ ગ્રાન્ટ પણ રૂ.6 લાખથી વધારીને રૂ.8 લાખ કરાઈ હતી.કોર્પોરેટરો દ્વારા વેતન વધારાની માંગ નવી નથી.જો આ મુદ્દાની જૂની વિગતો તપાસીએ તો વર્ષ 2018ઓક્ટોબરમાં રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના પક્ષભેદ ભૂલીને સર્વાનુમતે વેતન વધારાનો ઠરાવ પસાર કર્યો હતો.તે સમયે કોર્પોરેટરોનું માસિક માનદ વેતન રૂ.5 હજારથી વધારીને સીધું રૂ.15 હજાર કરવામાં આવ્યું હતું.આમ 2018માં પણ વેતનમાં 3 ગણો વધારો મંજૂર કરાયો હતો. 


આ પણ વાંચોઃ Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે