રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે યોજાનારી ડિમોલિશન કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સલામતી બંદોબસ્તને મજબૂત બનાવવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 2500થી વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થામાં SRP જવાનો પણ તૈનાત રહેશે
ડિમોલિશન માટે સુરક્ષા વ્યવસ્થામાં SRP જવાનો પણ તૈનાત રહેશે, જેથી કોઈ અફરાતફરી કે હિંસક ઘટનાનો ભય ન રહે. તંત્રએ વિસ્તારોને એલર્ટ પર મૂક્યા છે અને તમામ જવાનોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી રહ્યા છે. ડિમોલિશન વિસ્તારને આરોગ્ય, ટ્રાફિક અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેથી કામગીરી સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે થઈ શકે. સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ દ્વારા પાયાની તપાસ, માર્ગોનું નિયંત્રણ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કાફલો રાખવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.













