રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ બેવડી ઋતુ અને વરસાદી માહોલના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચોમાસાની સિઝન વચ્ચે અચાનક બદલાતા હવામાન અને ઉષ્ણતામાનના પલટાને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ ડબલ ઋતુની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેને કારણે શહેરમાં મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ, શહેરમાં સામાન્ય તાવ, ગળામાં ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના અધધ 2,133 દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોના ચોપડે નોંધાયા છે.

શહેરમાં ડબલ ઋતુના લીધે વાયરલ રોગચાળો

હવામાનમાં ભેજ અને વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખુલ્લા પ્લોટ્સમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે. મચ્છરજન્ય રોગો ઉપરાંત દૂષિત પાણી અને ખોરાકને કારણે શહેરમાં ટાઈફોઈડ અને કમળાના કેસો પણ સામે આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી દીધી છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા પ્રીમાઇસીસ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ અને જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગ અને તબીબો દ્વારા નાગરિકોને સાવચેતી

ઘરની આસપાસ, ટેરેસ પર, કુલર કે જૂના ટાયરોમાં પાણી જમા ન થવા દેવું. ભરાયેલા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે, તેથી તેનો ત્વરિત નિકાલ કરવો. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો અને પીવાના પાણીને ઉકાળીને વાપરવું જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય.સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં જંતુનાશક દવાઓ અને પોરાનાશક પ્રવાહીનો છંટકાવ કરવો અથવા તંત્રનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: Surat: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની 9 બેઠકો માટે આવતીકાલે યોજાશે મતદાન, 17 જુલાઈએ થશે મતગણતરી