રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે એક મોટું જમીન કૌભાંડ સપાટી પર આવ્યું છે. રાજકોટના લોધિકા તાલુકામાં ભાજપના જ દિગ્ગજ નેતાઓ દ્વારા સરકારી અને ગૌચર જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવીને ભાજપના નેતાઓના આ જમીન દબાણ પર બ્રેક મારી દીધી છે.

37 વીઘા સરકારી અને ગૌચર જમીન મુક્ત કરાઈ

લોધિકા ગ્રામ પંચાયત દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સરકારી ખરાબાની અને ગૌચરની જમીનમાં કૌભાંડ આચરીને સત્તાના જોરે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ની કચેરીમાંથી ખોટી માપણી સીટ બેસાડી દીધી હતી. જો કે, કલેક્ટરે તાત્કાલિક એક્શન મોડમાં આવીને DILR નો આ વિવાદિત હુકમ રદ કરી દીધો છે અને 37 વીઘા જમીનને ફરીથી સત્તાવાર રીતે સરકારી અને ગૌચર જમીન જાહેર કરી દીધી છે.

ભાજપના આ મોટા માથાઓના નામ આવ્યા સામે

આ ગૌચર જમીન કૌભાંડમાં જિલ્લા ભાજપના આગેવાન મુકેશ તોગડિયા, લોધિકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ કામાણી, કમલેશ વરુ અને અજય બાલધાએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું ખૂલ્યું છે. ભાજપના જ નેતાઓએ પશુઓના ચરાણ માટેની ગૌચર જમીન દબાવી દીધી હોવાની વાત વાયુવેગે પ્રસરતાં પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. હાલમાં કલેક્ટરના આ કડક આદેશથી લોધિકા ગ્રામ પંચાયત અને સ્થાનિક માલધારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે કૌભાંડી નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન