જાણીતા કલાકાર તથા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા લોક ડાયરામાં ટેક્સ વેરા અંગે આપવામાં આવેલા એક નિવેદનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ મૂકીને કલાકારો સામે મોરચો માંડ્યો છે.
કલાકારોને ચૂકવવામાં આવેલી મોટી રકમનો ખુલાસો
પુરુષોત્તમ પીપળીયાએ આ પોસ્ટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કલાકારોને ચૂકવવામાં આવેલી મોટી રકમનો ખુલાસો કરવામાં આવતા જ સોશિયલ મીડિયા પર નેટીઝન્સ અને કરદાતાઓનો આક્રોશ વરસી રહ્યો છે.
માયાભાઈ આહિરને 3.50 લાખ ચૂકવવામાં આવ્યા
પુરુષોત્તમ પીપળીયાએ સત્તાવાર વિગતો આપતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડાયરો કરવા માટે માયાભાઈ આહિરને 3.50 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
કીર્તિદાન ગઢવીને બે ડાયરા કરવા માટે 10 લાખ ચુકવાયા
આ ઉપરાંત અન્ય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને બે ડાયરા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹૧૦ લાખ જેવી મોટી રકમ ચૂકવાઈ હોવાનો આરોપ લગાવાયો છે
જનતાના પરસેવાના અને ટેક્સના પૈસાથી ડાયરો કર્યો
પીપળીયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કલાકારોએ જનતાના પરસેવાના અને ટેક્સના પૈસાથી ડાયરો કર્યો છે અને તે જ ડાયરાના સ્ટેજ પરથી સામાન્ય નાગરિકોને વગોવવા કે તેમની મજાક ઉડાવવી તે જરાય યોગ્ય નથી.
નવા ખુલાસાથી વિવાદમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો
માયાભાઈ આહિરના ટેક્સ બાબતના નિવેદન બાદ આ નવા ખુલાસાથી વિવાદમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કલાકારોને આડે હાથ લઈ રહ્યા છે અને સવાલો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના નાણાં પર જલસા કરીને પ્રજાને જ જ્ઞાન આપવું કેટલું યોગ્ય છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસાનો આ પ્રકારે વ્યય કરવા સામે પણ વિપક્ષ અને સામાન્ય નાગરિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિવાદ હાલમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને કલાકારો તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં