રાજકોટ દૂધ સંઘ (રાજકોટ ડેરી) દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં એક અતિ મહત્વનો અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજકોટ દૂધ સંઘે કુલ રૂ. 90 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. આ સફળતાના ભાગરૂપે ડેરી પ્રશાસને નફાનો મોટો હિસ્સો સીધો જ દૂધ ઉત્પાદકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે, જેથી પશુપાલકોને તેમના પરિશ્રમનું યોગ્ય અને પૂરેપૂરું વળતર મળી રહે.

પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે કુલ 75 કરોડની ચૂકવણી

આ નિર્ણય અંતર્ગત રાજકોટ ડેરી દ્વારા પોતાના કુલ નફામાંથી રૂ. 75 કરોડની માતબર રકમ અંતિમ ભાવ વધારા તરીકે ચૂકવવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે આ રકમ ગણતરી કરીને સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી 761 જેટલી દૂધ મંડળીઓના કુલ 52,182 દૂધ ઉત્પાદકોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે.

મંત્રી જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ

આ નાણાકીય ચુકવણી અને આભાર દર્શન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ જાણીતા સહકારી આગેવાન જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બંને આગેવાનોએ રાજકોટ ડેરીની કામગીરી અને પશુપાલકોના કલ્યાણ માટે લેવાયેલા આ આર્થિક નિર્ણયને બિરદાવ્યો હતો.

આ પણ વાંચો : Surat News : હર્ષ પંડ્યા કેસમાં પિતાનો પોલીસ પર સવાલ, ‘હલકી કલમો લગાવી રેગિંગને છાવરવામાં આવી રહ્યું છે’