વિંછીયા તાલુકાના ભોયરા ગામે મોડી રાત્રે દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને અચાનક ત્રાટકેલા દીપડાએ માલધારીના પશુઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં દીપડાએ 6 ઘેટાં અને 1 વાછરડીનું કરૂણ મારણ કર્યું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો અને ગ્રામજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

વન વિભાગની ટીમ તપાસમાં જોતરાઈ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ દીપડો અવારનવાર દેખાઈ ચૂક્યો હતો, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતાં આખરે મોટી હોનારત સર્જાઈ છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વનકર્મીઓએ મૃત પશુઓનું પંચનામું કરી દીપડાના પગમાર્ક આધારે તેની હિલચાલ ટ્રેક કરવાની તજવીજ હાથ ધરી છે.

પશુપાલકોમાં રોષ અને ભય, પાંજરું મૂકવા ઉગ્ર માંગ

એક જ રાતમાં 7 પશુઓનો શિકાર થતાં માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને પગલે પશુપાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ આક્રોશ વ્યક્ત કરીને માંગ કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવીને આતંક મચાવતા દીપડાને વહેલી તકે પૂરી દેવામાં આવે, જેથી માનવ અને અન્ય પશુધનના જીવનું રક્ષણ થઈ શકે.

આ પણ વાંચો : Bhavnagar પંથકમાં સાવજના આંટાફેરા, વાડી વિસ્તારમાં સિંહ દેખાતાં ખેડૂતોમાં ભયનો માહોલ