રાજકોટ ખાતે ખાંડના સતત વધી રહેલા ભાવ અંગે ચર્ચા જગાવતા મામલે પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દેશમાં ખાંડના વધી રહેલા ભાવોનું ઠીકરું આંતરરાષ્ટ્રીય પરિબળો પર ફોડ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ખાંડના વધતા ભાવને માત્ર સ્થાનિક ઉત્પાદન સાથે સાંકળીને જોવું યોગ્ય નથી, કારણ કે આ વધારા પાછળ વૈશ્વિક બજારના પરિબળો મુખ્યત્વે ભાગ ભજવી રહ્યા છે.
શેરડીનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ ઐતિહાસિક ટોચ પર
સાંસદ રૂપાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશમાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું નથી, પરંતુ વધીને આશરે 50 કરોડ ટને પહોંચી ગયું છે. દેશમાં ઉત્પાદનનો આંકડો આટલી મોટી સપાટીએ હોવા છતાં બજારમાં ખાંડના ભાવ ઐતિહાસિક ટોચ પર જોવા મળી રહ્યા છે. તેથી ભારતીય બજારમાં ભાવ વધારા પાછળ સ્થાનિક સ્તરે અછત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર સર્જાયેલી પરિસ્થિતિ અને વૈશ્વિક માગ-પુરવઠાનું ગણિત મુખ્ય કારણ છે.
