સ્વાદના શોખીન ગણાતા રાજકોટિયનો અવારનવાર વીકએન્ડમાં મોટી હોટેલો અને પ્રખ્યાત થાળી પીરસતા ડાઇનિંગ હોલમાં હોંશે-હોંશે જમવા જતા હોય છે, પરંતુ આ રેસ્ટોરન્ટ્સના રસોડાની અંદર ગ્રાહકોના સ્વાસ્થ્યને કેટલું જોખમ છે તેનો પુરાવો RMC ના દરોડામાં સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ભેળસેળયુક્ત અને વાસી ખોરાક વેચતા વેપારીઓ સામે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે સતત બીજા દિવસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી હોટેલ ‘બાલાજી થાળ’ માં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
લોટમાં ધનેડા અને વાસી સામગ્રી
આરોગ્ય વિભાગની ટીમ જ્યારે બાલાજી થાળના કિચન અને સ્ટોર રૂમમાં તપાસ માટે પ્રવેશી ત્યારે ત્યાં લોટના કન્ટેનરમાં લાઈવ જીવજંતુઓ રખડતા જોવા મળ્યા હતા. રોટલી અને પુરી બનાવવા માટે વપરાતા ઘઉં તેમજ મેંદાના લોટમાં મોટી સંખ્યામાં ધનેડા (ઇયળ/જીવજંતુ) મળી આવ્યા હતા. એટલું જ નહીં, ગ્રાહકોને પીરસવામાં આવતી ચટણીઓ પણ વાસી અને દુર્ગંધ મારતી હતી તથા સ્વીટ અને અન્ય વાનગીઓમાં વપરાતો ગોળ પણ સંપૂર્ણપણે બગડેલો અને કેમિકલયુક્ત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.










