રાજકોટ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આંબેડકરનગર ચોક નજીક આવેલા ખોડિયારનગર શેરી નંબર 17 માંથી એક રિક્ષામાંથી ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં યુવક નિશ્ચેત હાલતમાં પડ્યો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતાં તુરંત જ આ અંગે પોલીસ અને ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. ધમધમતા વિસ્તારમાં રિક્ષામાંથી મૃતદેહ મળવાની ઘટનાથી સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
માલવિયાનગર પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
બનાવ અંગેની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 ની ટીમે પ્રાથમિક તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. માલવિયાનગર પોલીસે તુરંત જ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિક લોકો તથા આસપાસના રહીશો પાસેથી પ્રાથમિક વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી.
