રાજકોટ શહેરમાં કાળજું કંપાવી દે તેવી લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા આહિર ચોક વિસ્તારમાં આવેલા એક મકાનમાં પિતાએ જ પોતાના સગા જુવાનજોધ પુત્રની નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. લોહીના સંબંધને શરમાવે તેવી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે હત્યારા વૃદ્ધ પિતાને સકંજામાં લીધો

પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનનું નામ રામભાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં જ કોઈ બાબતે કૌટુંબિક ઝઘડો કે વિવાદ થયા બાદ વૃદ્ધ પિતાએ આવેશમાં આવીને પુત્ર પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વૃદ્ધ પિતાને પોતાના સકંજામાં લઈ કાયદેસરની અટકાયત કરી લીધી છે.

હત્યાનું કારણ હજુ અકબંધ

બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ (PI) તેમજ ડી-સ્ટાફની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પિતાએ કયા કારણોસર પોતાના જ પુત્રની હત્યા કરવા જેવું આકરું પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, જેથી ભક્તિનગર પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં AMC એક્શન મોડમાં, ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિને કારણે વધુ બે બેકરી સીલ